વલ્‍લભભાઇના વડેરા

vithalbhai patel            દેશની આઝાદી પ્રાપ્‍ત કરવા માટે જે કેટલાક મહાનુભાવોએ પ્રબળ નેતૃત્‍વ પૂરું પાડ્યું તેમાં કરમસદના બે ભાઇઓ – વીર વિઠ્ઠલભાઇ અને સરદાર વલ્‍લભભાઇના નામો અગ્રસ્‍થાને છે. બન્‍ને સગા ભાઇઓ અને તે કાળખંડમાં બન્‍નેનો રાજકીય-સામાજિક ક્ષેત્રે અમૂલ્‍ય ફાળો એ એક વીરલ ઘટના છે. ર૭મી સપ્‍ટેમ્‍બરના રોજ વીર વિઠ્ઠલભાઇના જન્‍મ દિવસે આપણી વિધાનસભામાં પણ તેમની સ્‍મૃતિને તાજી કરીને પુષ્‍પાંજલિ કરવામાં આવે છે. કદાચ સરદાર વલ્‍લભભાઇને જેટલી પ્રસિધ્‍ધિ મળી તેટલી પ્રસિધ્‍ધિ વિઠ્ઠલભાઇને નહિ મળી હોય પરંતુ દેશને ગૌરવ અપાવે તેવા કાર્યોમાં સરદાર પટેલ જેટલો જ કિંમતી ફાળો વિઠ્ઠલભાઇનો હતો. બ્રિટીશ શાસનકાળમાં ભારતીય સંસદના પ્રમુખ (સ્‍પીકર) તરીકે ચૂંટાઇને આવવાનું અનોખું માન વીર વિઠ્ઠલભાઇને મળેલું છે. કેટલાક ક્રાંતિકારીઓની જેમ દેશની ગુલામી તથા અંગ્રેજોની નાઇન્‍સાફીની વાત સમગ્ર જગત સમક્ષ રજૂ કરવાની અતિ પરિશ્રમયુકત કામગીરી કરતા કરતાજ તેઓ માત્ર ૬૦ વર્ષની વયે શહીદીને વર્યા. કરમસદમાં ઊભું કરવામાં આવેલું સ્‍મારક બન્‍ને ભાઇઓની સ્‍મૃતિને જીવંત રાખવાના કાર્યમાં ખૂબ મહત્‍વનો ભાગ ભજવે છે. શ્રી એમ. એમ. પટેલ, શ્રી ઇશ્વરભાઇ પટેલ તથા શ્રી ગોરધનભાઇ પટેલ વગેરે મહાનુભાવોએ કાળજીપૂર્વક વિઠ્ઠલભાઇના જીવન તથા તેમના કાર્યો બાબત લખ્‍યું છે. તેથી તેમના ઓજસ્‍વી જીવન વિશે ખૂબજ રસપ્રદ તથા પ્રેરણાદાયક માહિતી મળે છે.

              વિઠ્ઠલભાઇનો જન્‍મ તેમના મોસાળ નડિયાદ ખાતે ૧૮૭૩ ની ૨૭મી સપ્‍ટેમ્‍બરે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ કરમસદમાં લીધું. કરમસદમાં માધ્‍યમિક શાળા નહિ હોવાથી હાઇસ્‍કૂલનો અભ્‍યાસ નડિયાદ જઇને કર્યો. તે વખતે મેટ્રિક પછી એડવોકેટની પરિક્ષા પસાર કરીને વકીલ થઇ શકાતું હતું. તેથી તેમણે તે રસ્‍તો પસંદ કર્યો. વલ્‍લભભાઇ પણ આ બાબતમાં તેમને જ અનુસર્યા. એ ખૂબ જાણીતો અને રસપ્રદ પ્રસંગ છે કે ઇગ્‍લાંડ જઇ બેરિસ્‍ટર થવા માટેનો પ્રયત્‍ન તથા પત્ર વ્‍યવહાર જે વલ્‍લભભાઇ કરતા હતા અને બન્‍નેના નામ વી. જે. પટેલ હોવાથી તેનો જ આધાર લઇ વિઠ્ઠલભાઇ વિલાયત ગયા તેમના નાનાભાઇ વલ્‍લભભાઇએ આ બાબતે સંમિત આપીને મોટાભાઇની તમામ જવાબદારી સ્‍વેચ્‍છાએ ઉપાડી. સખત પરિશ્રમ કરવાનો સ્‍વભાવ હોવાથી પ્રથમ વર્ગ સાથે તેમણે પદવી પ્રાપ્‍ત કરી અને ૧૯૦૮ માં સ્‍વદેશ પરત આવ્‍યા. મુંબઇમાં જ સ્‍થાયી થઇને વકીલાત શરૂ કરીને અને થોડા સમયમાં જ આ વ્‍યવસાયમાં તેમનું નામ જાણીતું થઇ ગયું.

વિઠ્ઠલભાઇ પટેલનો ઉલ્લેખ આધુનિક ભારતના ઘડવૈયાઓ પૈકી એક પ્રમુખ શિલ્‍પી તરીકે કરવો ઉચિત ગણાય. જે સમયમાં તેઓ જીવતા તેનાથી ખૂબ આગળના સમયનું તેઓ વિચારી શકતા. એ સ્‍વપ્‍નદ્રષ્‍ટા હતા પરંતુ તેમના મૂળ ધરતીની વાસ્‍તવિકતા સાથે જડાયેલા હતા. તેમની ઘણી બાબતો, મંતવ્‍યો, નિર્ણયો વગેરે તે કાળના લોકોના ગળે તરતજ ઉતરવા મુશ્‍કેલ થયા હોય એવું બને. પરંતુ આજે તેઓની દીર્ધદ્રષ્‍ટિ માટે અહોભાવ ઉપજે તેવું છે. ૧૯૧૦ માં તેમના પિતાનું અવસાન થયું ત્‍યારે જ્ઞાતિ ભોજન યોજવાની પ્રથાનો તેમણે વિરોધ કરેલો ! આજથી એક સદી પહેલા આવા સામાજિક પ્રશ્ને પોતાનું વલણ સ્‍પષ્‍ટ રીતે જાહેર કરીને તેમણે કેટલા વિરોધી અને ટીકાના વચનો સાંભળ્યા હશે તે કલ્‍પનાનો વિષય છે. ગાંધીજીનું ભારતમાં આગમન થયું તે પહેલા તેઓએ અસ્‍પૃશ્‍યતા નિવારણ માટે કાર્ય શરૂ કર્યું હતું. વિઠ્ઠલભાઇ ખરા અર્થમાં ‘‘ એકલો જાને રે ’’ ની વિચારધારા પચાવનારા – આચરનારા વીર પુરૂષ હતા. પોતાની વિવેકબુધ્‍ધિ અનુસાર વર્તન કરનાર તેજસ્‍વી તારક હતા. ધારાસભામાં પણ મહીલાઓની સાંપ્રત સ્‍થિતિ તથા તેમના તરફનો સમાજનો અન્‍યાયી વ્‍યવહાર એ બાબત તરફ તેઓ વખતોવખત ધારદાર હકીકતો પ્રસ્‍તુત કરતા. તેઓ પ્રાથમિક શિક્ષણ તેમજ મહીલાઓની સ્‍થિતિમાં સુધારો કરવાની બાબત તેમની પ્રાથમિકતા હતી.

ભારતીની સંસદ – ધારાસભાઓની કાર્યવાહી હેતુપૂર્ણ, શિસ્‍તબધ્‍ધ તથા સરળ બને તેવી પ્રણાલિકાઓ ઊભી કરવાનું અને તેને મક્કમતાથી સ્‍થાપિત કરવાનું કામ પણ વિઠ્ઠલભાઇનું એક મૂલ્‍યવાન પ્રદાન છે. હિન્‍દની સંસદના પ્રમુખ તરીકે એ હોદ્દાની ગરિમા જળવાય તેની તેઓ સંપૂર્ણ કાળજી રાખતા હતા. સંસદભવનની હદમાં કાયદો તથા વ્‍યવસ્‍થાની જાળવણી બાબતમાં પ્રમુખ તરીકે બહારની કોઇ દખલગીરી થઇ શકે નહિજ એવા આગ્રહમાં એક ધારાકીય સંસ્‍થાની પ્રતિભા ઊંચી રાખવાનો તેમનો હેતુ સ્‍પષ્‍ટ જોઇ શકાય છે. સંસદના સ્‍વતંત્ર સચિવાલયની સ્‍થાપના પણ તેમનાજ આગ્રહને કારણે થઇ. રક્ષકદળ પણ સંસદના પ્રમુખનેજ જવાબદાર – ઉત્તરદેહી રહે તે અંગે તેઓ સ્‍પષ્‍ટ હતા. આમાની કેટલી બધી પ્રથાઓ આજે પણ અમલમાં છે ! એક અસરકારક સ્‍વતંત્ર ધારાકીય સંસ્‍થાઓ ઊભી કરવામાં વિઠ્ઠલભાઇનું નામ સદા કોતરાયેલું રહેશે.

વિઠ્ઠલભાઇ એક સુપ્રસિધ્‍ધ અને સફળ વકીલ તરીકે સ્‍થાપિત થયા બાદ લાંબા સમય સુધી એ જ વ્‍યવસાયમાં રહીને આગળ વધી શકયા હોત. પુષ્‍કળ નાણાકીય લાભો અને તેના પરિણામે સુખ-સુવિધાઓ મેળવી શકયા હોત. પરંતુ દેશની પરાધિન સ્‍થિતિએ તેમને નિરાંતનો શ્વાસ લેવા ન દીધો. લગભગ ચાર વર્ષના ટૂંકા ગાળામાં તેમણે વ્‍યવસાય છોડીને લોકસેવાના કાર્યમાં જંપલાવવાનું નક્કી કર્યું. ફરી આ તબકકે પણ નાનાભાઇ વલ્‍લભભાઇનો સધિયારો અને પ્રોત્‍સાહન મળ્યા. જેથી વિઠ્ઠલભાઇ પોતાના નિર્ણયમાં મક્કમ રહીને જાહેર જીવનમાં આવ્‍યા. બન્‍ને ભાઇઓ વચ્‍ચે પરસ્‍પરના આદર અને સ્‍નેહભાવનો આ પુરાવો હતો. ૧૯૧૨ માં તેઓએ મુંબઇની ધારાસભામાં ચૂંટાયેલા સભ્‍ય તરીકે પ્રવેશ મેળવ્‍યો.

આ સમય એવો હતો કે મોર્લી-મિન્‍ટો સુધારાના કારણે ચૂંટાયેલા સભ્‍યોનો ધારાસભાના પ્રવેશનો માર્ગ સરળ બન્‍યો હતો. જો કે વિદેશી સરકારે એ બાબતની પૂરી તકેદારી રાખેલી કે ચૂંટાયેલા સભ્‍યો આ માળખામાં વિશેષ અસરકારક ન બની શકે. પરંતુ આ પડકાર વિઠ્ઠલભાઇએ ઝીલ્‍યો અને થોડાજ સમયમાં સમાજને અને સરકારને તેની પ્રતિતિ થવા લાગી. ધારાસભાના નિયમો અને કાર્યપધ્‍ધતિને સંપંર્ણપણે આત્‍મસાત કરીને ચરોતરના આ વીર પૂરૂષે બ્રિટીશ સત્તાને બરાબર હંફાવી. ધારાસભામાં પ્રશ્નો પૂછીને, ઠરાવો લાવીને પ્રજાના પ્રશ્નોને તેમણે વાચા આપી. વિગતોની ચોકસાઇ તથા છટાદાર દલીલોને કારણે તેમના લોકહિતના પ્રશ્નો અંગે ઉપેક્ષા કરવાનું સરકારને અઘરું પડતું હતું. તેમની દીર્ઘદ્રષ્‍ટિને કારણે પ્રાથમિક શિક્ષણનો વ્‍યાપ સરકાર વધારે તેવો ખરડો તે જમાનામાં લાવ્‍યા અને પસાર કરવી શક્યા. પરંપરાગત ચિકત્‍સા પધ્‍ધતિઓ જેમાં આયુર્વેદ તથા યુનાની પધ્‍ધતિનો સમાવેશ થાય છે તે કાયદાથી અટકાવવાનો સરકારનો પ્રયાસ તેમણે નિષ્‍ફળ બનાવ્‍યો. મુંબઇ ધારાસભાનો તેમનો આ અનુભવ તેમને દિલ્‍હીની ઇમ્‍પીરિયલ લેજિસ્‍લેટીવ કાઉન્‍સિલના સભ્‍ય તરીકે પણ ઉપયોગી થયો. ત્‍યાં પણ તેઓ પ્રથમ કક્ષાના સાંસદ-પાર્લામેન્‍ટેરિયન પુરવાર થયા. તેમની આ ક્ષમતાને કારણેજ તેઓ સંસદના પ્રમુખ (સ્‍પીકર) તરીકે ગૃહના બધા સભ્‍યોના ટેકાથી ચૂંટાયા. ભારતમાં સંસદ-સંચાલનની જયારે કોઇ પધ્‍ધતિ – પ્રણાલિકા ન હતા ત્‍યારે તેમણે નવી કેડિઓ અંકિત કરી. નિષ્‍પક્ષ અને હેતુલક્ષી વલણને કારણે સભ્‍યોમાં પણ ખૂબ લોકપ્રિય રહયા. સંસદને તેમજ ધારાસભાઓને આજે જે ગરીમા પ્રાપ્‍ત થઇ છે તેમાં પાયાની ઇંટ મૂકવાનું પવિત્ર કાર્ય આ ગુજરાતી વીરે કરેલું છે. આજ રીતે મુંબઇ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ તરીકે પણ તેમણે દૂરોગામી અસરોવાળા સુધારઓ દાખલ કરીને સ્‍થાનિક સંસ્‍થાઓના ગુણવત્તાયુક્ત અને અસરકારક વહીવટનો એક ઉત્તમ નમૂનો આપ્‍યો. તે વખતના મ્‍યુનિસિપલ કમિશ્નર કે જેઓ વહીવટી સેવાના એક ઉચ્‍ચ અમલદાર હતા તેમણે વિઠ્ઠલભાઇના પ્રમુખ તરીકેના વ્‍યવહાર અને ઉચ્‍ચ પ્રણાલિકાઓ સ્‍થાપવાના પ્રયાસોની ભરપેટ પ્રશંસા લખી છે.

નિડર, નિષ્‍પક્ષ અને આખાબોલા આગેવાન તરીકેની અપ્રતિમ પ્રશંસા પ્રાપ્‍ત કરનાર શ્રી વિઠ્ઠલભાઇ ગાંધીજી પ્રત્‍યે સંપૂર્ણ શ્રધ્‍ધા અને માન ધરાવતા હતા. તેમ છતાં ગાંધીજીના વિચારોમાં જ્યાં તેઓ સંમત ન હતા ત્‍યારે સ્‍પષ્‍ટ  રીતે કહેવાની આદતવાળા હતા. પરાધિન રાષ્‍ટ્રની પારાવાર સમસ્‍યાઓ તરફ દુનિયાનું ધ્‍યાન દોરવા માટે વિશ્વ પ્રવાસનો થકવી નાખે તેવો આકરો દોર તેમણે શરૂ કર્યો. આ દરમ્‍યાનજ જીનીવા પાસે ઓકટોબર ૧૯૩૩ માં ભારતમાતાના વીર સપૂતે આખરી શ્વાસ લીધા. સંસદીય કાર્યપ્રણાલિ જ્યાં સુધી જગતમાં જીવીત-કાર્યરત રહેશે ત્‍યાં સુધી વિઠ્ઠલભાઇ સદેહે તો આપણી વચ્‍ચે  નથી પરંતુ તેમનું નામ અને તેમનું યોગદાન માર્ગદર્શક બની રહેશે.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑